વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર.
લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે ,ચર્ચા ન કર.
ચર્ચાય તો ,ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર.
એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મ્રુગજળ વિષે ,ચર્ચા ન કર.
જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી ,અસતનાં બળ વિષે ,ચર્ચા ન કર .
–ડૉ.મહેશ રાવલ